વાળુકડ ગામે વાડીમાં યુવાનની થયેલી હત્યામાં સંડોવાયેલા પિતા પુત્ર ઝડપાયા

  • February 02, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેર નજીક આવેલા સીદસર રોડ વાળુકડ પાસે આવેલી વાડીએ જમીનના સોદા માટે આવેલા પિતા-પુત્રો પર હુમલો કરી ઢોર માર મારતા એકનું મોત નીપજ્યું હતું. જે હત્યાંના બનાવ મામલે પોલીસે હત્યાંમાં સંડોવાયેલા પિતા-પુત્રને ઝડપી લીધા હતા. સુરતમાં જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા ભાગીદારને વાળુકડ ગામે સિદસર રોડ પર સસ્તાભાવે જમીન મળી રહી હોય જેથી રૂા. ૧.૧૦ કરોડ લઈ આવવાનું કહી પિતા અને બે પુત્રને બોલાવી પિતા-પુત્ર (આર્મીમેન)સહીત છ શખ્સોએ ગુનાહીત કાવતરુ રચી એકાદ વર્ષ પહેલા સુરતમાં લીધેલી જમીનનો સોદો કેન્સલ થતા ૯૦ લાખની લેતી દેતી મામલે વાડીની ઓરડીમાં પિતા અને બે પુત્રને દોરડેથી બાંધી દઈ શખ્સોએ નિર્દયતા પુર્વક યુવકની હત્યા કરી શખ્સો નાસી છુટયા હતા. દરમિયાન પોલીસે યુવકની હત્યા મામલે ફરાર આર્મીમેન પુત્ર અને તેના પિતાને પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે હજુ ચાર શખ્સ ફરાર હોવાનું જાણવા મળ્યુ હતું. ઝડપાયેલા પિતા-પુત્રને આજે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી હાથ ધરાશે.


આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર સુરતના હીરાબાગ વિસ્તારમાં એ.કે.રોડ, ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા મુળ મહુવા તાલુકાના સમઢીયાળા ગામના વતની અને જમીન લે વેંચનું કામ કરતા તુળશીભાઈ સવજીભાઈ લાઠીયાએ વરતેજ પોલીસ મથકમાં ઘોઘા તાલુકાના વાળુકડ ગામના લાભુભાઈ જીવરાજભાઈ સવાણી, આર્મીમાં ફરજ બજાવતા તેના દિકરા દર્શન લાભુભાઈ સવાણી અને અન્ય ચાર શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી કે, એકાદ વર્ષ પહેલા તેઓ, લાભુભાઈ જીવરાજભાઈ સવાણી અને પ્રવિણભાઈ હીરજીભાઈ નાકરાણી (રહે.સુરત)એ સુરતના બોઘાન ગામ ખાતેની ૨૪ વિઘા જમીન અજીતભાઈ દરબાર પાસેથી રાખી હતી અને બહાના પેટે ૭૫ લાખ આપ્યા હતા. પરંતુ તે સોદો કેન્સલ થતા અજીતભાઈએ તેઓને ૯૦ લાખ પાછા આપી દેવાનું કહ્યુ હતું. પરંતુ રૂપિયા આપ્યા ન હતા. તે પૈસાની લેતી દેતી બાબતે લાભુભાઈ સવાણીએ મનદુખ રાખી વાળુકડ ગામે સસ્તા ભાવમાં જમીન મળતી હોવાની વાત કરી ભાગીદારીમાં જમીન લેવા માટે તેઓ રૂપિયા લઈ તેના બે દિકરા વિપુલભાઈ અને તેનો નાનો દિકરા ત્રણેય વાળુકડ ગામે જતા લાભુભાઈએ વાડીએ રૂપિયા ગણવાના બહાને લઈ જઈ ગુનાહીત કાવતરુ રચી તેના દિકરાને ફોન કરી બોલાવતા દર્શન અને અન્ય ચાર અજાણ્યા શખ્સોએ આવી તેને તેમજ તેના બે દિકરાને દોરડેથી બાંધી દઈ અમારા પૈસા તમે ખાઈ ગયા છો, કહી આડેધડ લાકડાના ધોકા અને કેબલ વડે માર મારી તેને તેમજ તેના બન્ને દિકરાને ગંભીર ઈજા પહોંચાડી વિપુલભાઈને બેશુધ્ધ બનાવી દઈ તેની હત્યા કરી રૂા. ૧.૧૦ કરોડની લુંટ ચલાવી નાસી છુટ્યા હતા.જે મામલે વરતેજ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. યુવકની હત્યા કરી નાસતા ફરતા લાભુભાઈ જીવરાજભાઈ સવાણી અને તેના આર્મીમાં ફરજ બજાવતા દિકરા દર્શન લાભુભાઈ સવાણીને વરતેજ પોલીસ મથકના પીએસઆઈ રબારી સહીતના સ્ટાફે ઝડપી લીધા હતા. ઉક્ત મામલે પીએસઆઈ રબારીએ જણાવ્યું હતું કે, હજુ ઉક્ત ગુનામાં અન્ય શખ્સો નાસતા ફરી રહ્યા છે. જ્યારે ઝડપાયેલા પિતા-પુત્રને આજે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને ફરાર અન્ય શખ્સોને ઝડપી લેવા તરફ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application