ધાર્મિક સ્વતંત્રતા, ઓળખ અને ગૌરવ પરનો સીધો પ્રહાર

  • April 25, 2025 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલો એ ભારતના હિન્દુ સમુદાયની ધાર્મિક સ્વતંત્રતા, ઓળખ અને ગૌરવ પરનો સીધો પ્રહાર છે તેમ જણાવીને પોરબંદરમાં બે સંસ્થાઓએ જિલ્લા વહીવટીતંત્ર મારફતે વડાપ્રધાનને આવેદનપત્ર મોકલ્યુ છે. 
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ અને રાષ્ટ્રવાદી હિન્દુ સંગઠન દ્વારા જિલ્લા કલેકટર મારફતે વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ જેમાં જણાવાયુ હતુ કે જમ્મુ અને કાશ્મિરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં તાજેતરમાં બનેલી ઘટના જેમાં આતંકવાદીઓએ હિન્દુ પ્રવાસીઓનું ધાર્મિક નામ પૂછયા પછી તેમની ક્રૂર હત્યા કરી હતી, તેમણે સમગ્ર રાષ્ટ્રને આઘાત અને ગુસ્સો અપાવ્યો  છે. આ માત્ર આતંકવાદી  હુમલો નથી, પરંતુ તે ભારતના બહુમતી સમુદાયની ધાર્મિક સ્વતંત્રતા,ઓળખ અને ગૌરવ પર સીધો પ્રહાર છે.
તમારા નેતૃત્વમાં ભારત દેશે આતંકવાદ સામે સાહસિક પગલા લીધા છે પરંતુ આવી ઘટના દર્શાવે છે કે હાલમાં પણ હિન્દુ સમાજ પ્રત્યે ખરાબ ઇચ્છા ધરાવતા તત્ત્વો સક્રિય છે, જેઓ આપણા દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સુમેળને ખલેલ પહોંચાડવાનું કાવતરુ ઘડી રહ્યા છે.
આ ઘટનામાં સામેલ તમામ આતંકવાદીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમને મૃત્યુદંડ આપવામાં આવે. જમ્મુ અને કાશ્મીરમાં હિન્દુ યાત્રાળુઓ અને પ્રવાસીઓની સલામતી માટે કાયમી અને અસરકારક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવી જોઇએ. મૃતકોના  પરિવારને યોગ્ય આર્થિક સહાયતા મળવી જોઇએ. તમામ ધાર્મિક સ્થળો અને યાત્રાધામોની સલામતી માટે એક સંકલિત રાષ્ટ્રીય સુરક્ષા નીતિ ઘડવી જોઇએ. ધાર્મિક આધાર પર થતી કોઇપણ હિંસાને રાજદ્રોહની શ્રેણીમાં લાવવી જોઇએ અને કડક કાર્યવાહી સુનિશ્ર્ચિત  કરવી જોઇએ. ભારતદેશમાં જે પણ જગ્યાએથી આવા આતંકવાદીઓને તાલીમ મળે છે. તેવા સ્થળોને કાયમી ધોરણે બંધ કરાવવા જોઇએ.
આ ઘટના માત્ર પીડિત પરિવારો માટે જ પીડાદાયક નથી, પરંતુ તે સમગ્ર હિન્દુ સમાજની આત્માને ઠેંસ પહોંચાડે છે. અમે વિનંતિ કરીએ છીએ કે આ મુદ્ાને રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક ન્યાય સાથે જોડવામાં આવે અને તાત્કાલિક અને કડક પગલા લેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઇ આતંકવાદી તત્ત્વ ભારતીય ભૂમિ પર આવુ કાયરતાપૂર્ણ કૃત્ય કરવાની હિંમત ન કરી શકે. તે પ્રકારની માંગણી ત્રણે સંસ્થાઓ દ્વારા થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application