જામનગરના શંકરટેકરીમાં ૧૨ વર્ષની બાળાનો આપઘાત

  • November 21, 2023 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાતમા ધોરણની વિધાર્થીનીએ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું : શહેરમાં અરેરાટી : કારણ જાણવા કરાતી તપાસ

જામનગર સહિત રાજયમાં છેલ્લા કેટલાક સમયથી તરુણવયે જીવન ટુંકાવી લેવાના બનાવો ચિંતાજનક રીતે બહાર આવી રહયા છે, જામનગરના શંકટેકરી વિસ્તારમાં આવેલ સિઘ્ધાર્થ કોલોનીમાં ૧૨ વર્ષની એક બાળાએ કોઇ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવી લેતા અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઇ ગઇ છે. બનાવ સબંધે પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલ સિઘ્ધાર્થ કોલોની શેરી નં. ૮માં રહેતી પ્રિયાંશીબેન પ્રવિણભાઇ વારંગીયા (ઉ.વ.૧૨) નામની બાળાએ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર પંખાના હુંકમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ બહાર આવતા પરિવારમાં ભારે કરુણાંતીકા સર્જાઇ હતી અને શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા પ્રવિણભાઇ વારંગીયાએ સીટી-સી પોલીસને જાણ કરી હતી આથી ટુકડી દોડી આવી હતી અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, મૃતક કિશોરી ધોરણ ૭માં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. તેણીએ કયા સંજોગોમાં આપઘાત કર્યો એ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી છે.
***
એસટી ડેપો સામે બિમારી સબબ પ્રૌઢનું પ્રાણ પંખેરુ ઉડયું
જામનગરના એસટી ડેપોની સામે પાણીના પરબની બાજુમાં એક પ્રૌઢનું કોઇ બિમારી સબબ મૃત્યુ નિપજયુ હતું, બનાવની જાણ થતા પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી કરી હતી.
અહીંના બેડી દિગ્વીજય સોલ્ટ ખાતે રહેતા અને આશરે દસેક વર્ષથી રખડતુ ભટકતુ જીવન જીવતા કેશુભાઇ વેલજીભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ.૫૮) ને ઘણા લાંબા સમયથી બિમારી હોય દરમ્યાન ગઇકાલે એસટી બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાં તેમનું મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે અંધાશ્રમ પાછળ રહેતા અવસરભાઇ ઝીંઝુવાડીયાએ સીટી-એ પોલીસમાં જાણ કરી હતી જેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application