અલિયાબાડા પાસે નદીમાં નાહવા પડેલા ૧૨ વર્ષના બાળકનું ડૂબી જતાં મૃત્યુ

  • September 17, 2024 10:33 AM 

પોતાના પિતા અને નાની બહેનની નજર સમક્ષ જ બાળકનું ડૂબી જતાં મૃત્યુ નિપજવાથી પરિવારમાં ભારે માતમ છવાયો


જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતો ૧૨ વર્ષનો એક બાળક પોતાના પિતા અને નાની બહેન સાથે અલિયાબાડા નજીક આવેલી નદીમાં નાહવા માટે પડ્યો હતો, અને ડૂબી જવાથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જેથી પરિવારમાં ભારે માતમ છવાયો છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા અને મૂળ અલિયા ગામ ના રહેવાસી અયુબખાન મોગલ કે જેઓ પોતાના ૧૨ વર્ષના પુત્ર એજાજખાન તથા નાની પુત્રીને લઈને ઇદનો તહેવાર હોવાથી અલિયાબાડા પોતાના વતન નજીક દરગાહે દર્શને ગયા હતા.


ત્યારબાદ નજીકમાં જ આવેલી નદીમાં માછલીને મમરા નાખ્યા હતા, અને ત્યારબાદ અયુબ ખાન અને તેનો પુત્ર એજાજ  વગેરે પાણીમાં નાહવા માટે પડ્યા હતા. ત્યારે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં પુત્ર ઇજાજખાન ઊંડા પાણીમાં ચાલ્યો જતાં તેના પિતા અને નાની બહેનની નજર સમક્ષ નદીના પાણીમાં ડૂબી ગયો હતો.


જેથી પિતા અને બહેન વગેરે ભારે બુમાબુમ કરી હતી, પરંતુ એજાજ નો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ આસપાસના વિસ્તારના તરવૈયાઓ તેમજ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીમાં શોધખોળ કર્યા પછી તેઓના હાથમાં એજાજનો મૃતદેહજ હાથમાં આવ્યો હતો. જેના મૃત્યુને લઈને પરિવારમાં ભારે માતમ છવાયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ ચાવડા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને બાળકના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application