આસામ સરકારે નવી પહેલ કરી છે અને એક કરતા વધુ લગ્ન બદલ 7 વર્ષની જેલ સજાની જોગવાઈ કરતા ખરડાને મંજુરી આપી દીધી છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા કહે છે કે કેબિનેટે રાજ્યમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવા માટે આ નિર્ણય લીધો છે. જેથી હવેથી એકથી વધુ લગ્ન કરવા પર 7 વર્ષની જેલ થશે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે રાજ્ય મંત્રીમંડળે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકતા બિલને મંજૂરી આપી છે. જો કે, છઠ્ઠી અનુસૂચિ હેઠળના વિસ્તારો માટે કેટલાક અપવાદો હોઈ શકે છે.ગુવાહાટીમાં મંત્રીમંડળની બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર બહુપત્નીત્વથી પીડિત મહિલાઓને વળતર આપવા માટે એક નવું ભંડોળ પણ બનાવશે જેથી તેમને તેમના જીવન જીવવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, આસામ મંત્રીમંડળે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકતા બિલને મંજૂરી આપી છે. આ બિલને 'આસામ બહુપત્નીત્વ પ્રતિબંધ બિલ, ૨૦૨૫' નામ આપવામાં આવશે. તે ૨૫ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.
તેમણે કહ્યું, "જો કોઈ આરોપી બહુપત્નીત્વનો દોષિત ઠરે છે, તો તેને સાત વર્ષ સુધીની સખત કેદની સજા થઈ શકે છે. નવા બિલમાં આ ગુનાને બિન-દખલપાત્ર બનાવવામાં આવ્યો છે, અને તેના હેઠળ ધરપકડ કરાયેલા લોકોને તાત્કાલિક જામીન આપવામાં આવશે નહીં. વધુમાં, અમે પીડિત મહિલાઓને વળતર આપવા માટે એક ભંડોળ બનાવવાનું નક્કી કર્યું છે.સરકાર તાત્કાલિક કેસોમાં નાણાકીય સહાય પૂરી પાડશે જેથી કોઈ પણ મહિલાને જીવનમાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
આસામના કયા જિલ્લા કાયદાના દાયરામાંથી બાકાત રખાયા?
મુખ્યમંત્રીએ એવી પણ સ્પષ્ટતા કરી કે આસામના આદિવાસી સમુદાયો, જેઓ પોતાની પરંપરાઓનું પાલન કરે છે, અને કાર્બી આંગલોંગ અને દિમા હાસાઓ (જે બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ આવે છે), તેમજ બોડો ટેરિટોરિયલ રિજન હેઠળના પાંચ જિલ્લાઓને આ નવા કાયદાના દાયરામાં બાકાત રાખવામાં આવશે.