રાજકોટમાં આગામી તા.૧૧ અને ૧૨ ના સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલની વાયબ્રન્ટ સમીટ યોજાવા જઈ રહી છે. મારવાડી યુનિવર્સિટીમાં યોજાનાર વાયબ્રન્ટ સમીટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારવાના છે. ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમને લઇ અભેદ સુરક્ષાચક્ર ગોઠવવામાં આવશે. પીએમની સુરક્ષામાં બે રેન્જ આઈજી, ૧૧ ડિસીપી સહિત ૪૫૦૦ પોલીસનું સુરક્ષા કવચ રહેશે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહીતી મુજબ, આગામી સમયમાં મારવાડી યુનિવર્સિટીમાં યોજાનાર વાઈબ્રન્ટ સમીટમાં વડાપ્રધાનની સાથે સાથે વિશ્વના ટોંચના ઉધોગાતિઓ, કેન્દ્રીય-રાજયના મંત્રીઓ, રાજયના જાણીતા ઉધોગપતિઓ, દેશ-વિદેશની કંપનીઓના સી.ઈ.ઓ. રાજકોટની મુલાકાતે પધારનાર હોય અને શહેરમાં જ રાત્રી રોકાણ કરનાર હોય,ત્યારે ગૃહ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન અને બે દિવસ ચાલનાર વાઈબ્રન્ટ સમીટના આયોજનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં રાજકોટ રેન્જ આઈજી અને બોર્ડર રેન્જ આઈજીમાં માર્ગદર્શન હેઠળ ૧૧ ડીસીપી ૩૦ એસીપી, ૯૦ પીઆઈ, ૨૩૫ પીએસઆઈ, ૨૫૬૦ પોલીસમેન અને સાથે હોમગાર્ડ, ટીઆરબીના જવાનો પણ સુરક્ષામાં ખડેપગે રહેશે. ઉપરાંત એસઆરપીની 3 કંપનીના ૨૧૦ જવાનો પણ પણ સુરક્ષા વ્યવસ્થામાં સાથે રહેશે.
પોલીસ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમ મુજબ, તા.૧૦ ના વડાપ્રધાન હિરાસર એરપોર્ટ પર ઉતરશે અને ત્યાંથી સાંજના તેઓ હેલિકોપ્ટર મારફત સોમનાથ જવા રવાના થશે. ત્યાંથી તેઓ તા.૧૧ ના હેલિકોપ્ટર મારફત સીધા મારવાડી યુનિવર્સિટીમાં યોજાનાર વાઈબ્રન્ટ સમીટમાં હાજરી આપશે. ત્યાંથી તેઓ હિરાસર એરપોર્ટ જશે અને ત્યાંથી દિલ્લી જવા રવાના થનાર હોય જેથી હિરાસર એરપોર્ટથી મારવાડી યુની. સુધી પોલીસ ખડેપગે રહશે.
એસપીજી કમાન્ડોનો રાજકોટમાં મુકામ
વાઈબ્રન્ટ સમીટમાં દેશના વડાપ્રધાન હાજરી આપનાર હોય જેથી તે કાર્યક્રમ પૂર્વ એસપીજી કમાન્ડોની ટીમ રાજકોટ આવી પહોંચી છે. તેઓએ વાઈબ્રન્ટ સમીટ જ્યાં યોજાનાર છે તે મારવાડી યુનિવર્સિટી પર સર્ચ કરી તપાસ કરી હતી.