રામનાથ આજુબાજુથી ૨૮ ટન કચરો નીકળ્યો; શિવાલયો ફરતે સફાઇ કરવા ઠાકરનો આદેશ

  • February 25, 2025 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે મહાશિવરાત્રીના પાવન પર્વ પૂર્વે રામનાથ મહાદેવ મંદિર સહિત સમગ્ર શહેરના તમામ શિવાલયો આજુબાજુ સફાઇ ઝુંબેશ હાથ ધરીને સ્વચ્છતા લાવવા સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ આદેશ કર્યો હતો, દરમિયાન રામનાથ મહાદેવ મંદિર ફરતે સફાઇ ઝુંબેશ હાથ ધરતા મંદિર પરિસર ફરતેથી કુલ ૨૮ ટન કચરો નીકળ્યો હતો જેનો ટીપર વાન મારફતે નિકાલ કરાયો હતો.

આજથી લગભગ ૫૫૦ વર્ષ પહેલા સ્વયંભૂ રીતે પ્રગટ થયેલ રામનાથ મહાદેવ આજી નદીના કાંઠે બિરાજે છે. આજી નદીના બંને વહેણો વચ્ચે સુંદર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે બિરાજેલ દેવોના દેવ મહાદેવ ભાવિકો સાથે રાજકોટનું આસ્થા બિંદુ છે. જયારે આજી નદીમાં પૂર આવે ત્યારે આજી નદી પણ રામનાથ મહાદેવનો જલાભિષેક કરે છે. શ્રી રામનાથ મહાદેવના દર્શન તથા પૂજા માટે૨૪ કલાક ભકતજનો આવે છે.શહેરનો સૌથી પ્રાચીન વિસ્તાર જુનું રાજકોટનું રામનાથપરા છોટે કાશી તરીકે જાણીતું છે. મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિતે રાજકોટના હજારો ભક્તો રામનાથ મહાદેવના દર્શન તથા પૂજાનો લાભ લેતા હોય છે ત્યારે રાજકોટ મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા.૨૪થી રામનાથ મહાદેવ મંદિર પરિસર તેમજ આજુબાજુની સફાઇ ઝુંબેશ કરવામાં આવી હતી જેમાં, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ૪૦ સફાઇ કર્મચારીઓ, બે જેસીબી, ત્રણ ડમ્પર, બે ટ્રેક્ટર તથા મીની ટીપર વાન દ્વારા ૨૮ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

સફાઇ ઝુંબેશનું નિરીક્ષણ કરવા આજે મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઇ રાડીયા, સેનિટેશન ચેરમેન નિલેશભાઇ જલુ, વોર્ડ નં.૭ના કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. રામનાથ મહાદેવ મંદિર પરિસર તથા આસપાસના સ્થળની સંપૂર્ણ સફાઇ જળવાઇ રહે તેમજ મહાશિવરાત્રીના તહેવાર બાદ પણ સફાઇ કામગીરી કરવા અંગે પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી, નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર, સેનિટેશન ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટરને જરૂરી સુચના આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News