નર્મદા ડેમના 23 ગેટ ખોલાયા, 28 ગામોને કરાયા એલર્ટ કુલ 3.95 લાખ કયુસેક પાણી છોડાયું

  • August 26, 2024 06:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 





નર્મદા બંધના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થયો છે. રવિવારે રાત્રે સરદાર સરોવર બંધનાં 15 દરવાજા 2.85 મીટર ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતાં સોમવારે બપોર 1 વાગ્યે વધુ 8 ગેટ મળી કુલ - 23 ગેટ 2.2 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે.




નર્મદા ડેમના ઉપરવાસમાં હાલ 368475 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેથી નદી તળ વિદ્યુત મથકનાં 06 મશીનો અને સરદાર સરોવર બંધનાં 23 દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 3,95,000 (45,000+ 3,50,000) કયુસેક પાણી છોડવામાં આવ્યું છે.




જિલ્લા કલેક્ટરએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે, નર્મદા ડેમના ઉપરવાસમાંથી જેટલો પાણીનો ઇન્ફ્લો છે તેના પ્રમાણમાં જ આઉટ ફ્લો છે. ક્યાંક પાણીનો ભરાવો થાય તો તેનો ઝડપી નિકાલ થાય તેવા પ્રયાસો કરવા અને જરૂર પડ્યે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના 24 કલાક કાર્યરત કંન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.



નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તકેદારી અને સાવચેતીને ધ્યાને રાખીને અસરગ્રસ્ત થતા ગામોમાં નાંદોદ તાલુકાના સિસોદરા, ભદામ, માંગરોલ, ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી, નવાપુરા, ધમણાચા, ધાનપોર, ભચરવાડા, હજરપુરા, શહેરાવ, વરાછા, પોઈચા, રૂંઢ ગામો અને ગરૂડેશ્વર તાલુકાના સાંજરોલી, અંકતેશ્વર, સુરજવડ, ગોરા, ગરૂડેશ્વર, ગંભીરપુરા, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ, તિલકવાડા, વડીયા, વિરપુર, રેંગણ મળી ત્રણેય તાલુકાના ઉક્ત 28 ગામોમાં  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application