જામનગર જિલ્લામાં ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સે અતિવૃષ્ટિમાં ૩,૭૦૦ થી વધુ અબોલ પશુઓની સારવાર કરી

  • September 07, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વરસતા વરસાદ વચ્ચે જિલ્લાના વિવિધ ગામોમાં ૧૬૦૦ થી વધુ વખત પહોંચેલી ૧૯૬૨ એમ્બ્યુલન્સ અબોલ પશુઓ માટે જીવાદોરી સાબિત થઈ


જામનગર તા.૬, જામનગર જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તારો પુર અસરગ્રસ્ત બન્યા હતા. જિલ્લા વહીવટી તંત્રએ સતર્કતા દાખવી જાન માલની ઓછામાં ઓછી નુકસાની થાય, તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી લોકોને મદદરૂપ થવા શક્ય તમામ પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારે અબોલ જીવોની પણ સ્થાનિક પ્રશાશન દ્વારા એટલી જ કાળજી લેવાઈ અને જિલ્લાનું પશુધન સુરક્ષિત રહે તે માટે ભરપૂર પ્રયત્નો કરાયા હતા.


જામનગર જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિના કારણે માણસની સાથે સાથે અબોલ પશુ પક્ષીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. આ આફતમાં પશુઓ હેમખેમ રહે તે માટે ૧૯૬૨ એમ્બ્યુલન્સ અબોલ પશુઓની સેવામાં સતત દોડતી રહી.આ અંગે ૧૯૬૨ ના પ્રોગ્રામ મેનેજર ડો.શોએબ ખાને

 જણાવ્યું કે, સમગ્ર જામનગર જિલ્લામાં ૧૯૬૨ એમ્બ્યુલન્સના ફરતા દવાખાના દ્વારા ગામે ગામ પહોંચી વરસતા વરસાદમાં પણ ૩,૭૦૬ જેટલા અબોલ પશુઓની સારવાર કરાઈ અને આ આપદાની ઘડીમાં તાત્કાલિક મદદે પહોંચેલી ૧૯૬૨ એમ્બ્યુલન્સ અનેક પશુઓ માટે જીવાદોરી સમાન સાબિત થઈ.


ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પશુઓ ઘાયલ અથવા બીમાર થયા હતા ત્યારે ૧૯૬૨ એમ્બ્યુલન્સને પશુઓની સારવાર અંગેના સતત કોલ મળતા હતા.ત્યારે ૧૯૬૨ ના કર્મચારીઓએ પણ એટલી જ ત્વરા દાખવી રાત દિવસ ગામે ગામ સારવાર અને મુલાકાત ચાલુ રાખી અને તા.૩૧ ઓગસ્ટથી લઈ તા.૪ સપ્ટેમ્બર દરમિયાન માત્ર પાંચ દિવસના ગાળામાં જ જિલ્લાના વિવિધ ગામોમાં ૧૬૦૦ થી વધુ વખત પશુઓની સારવાર માટે પહોંચી અને આપદાની ઘડીમાં પશુધનની યોગ્ય સારવાર તથા નિદાન કરી તેઓને નવજીવન આપ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application