દુબઈથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 1452 (એરબસ A321)ના કાર્ગો હોલ્ડ એરિયામાં ધુમાડો દેખાતાં આ ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઇટમાં 187 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર્સ મળી કુલ 194 લોકો સવાર હતા.
ફ્લાઇટમાં પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બપોરે ૧૪:૪૫ વાગ્યે 'ફુલ ઇમરજન્સી' જાહેર કરવામાં આવી હતી અને વિમાને બપોરે ૧૫:૨૭ વાગ્યે રાજકોટ એરપોર્ટ પર સલામત રીતે લેન્ડિંગ કર્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણ સુરક્ષિત છે.
હાલ રાજકોટ એરપોર્ટ ખાતે વિમાનનું ટેકનિકલ ઇન્સપેક્શન પર ચાલી રહ્યું છે. મુસાફરોની આગળની મુસાફરી સુચારૂ રહે તે માટે એરલાઇન દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
આ ઘટના અંગે રાજકોટના કલેક્ટર ઓમ પ્રકાશ ઝાએ માધ્યમોને વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર સ્થિતિ પર તંત્ર દ્વારા તાત્કાલિક કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને તમામ મુસાફરો સલામત છે.
પાઈલટને લગેજ એરિયામાં સ્મોકની શંકા ગઈ રાજકોટ કલેક્ટરે જણાવ્યું હતું કે, દુબઈથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટના પાઈલટને વિમાનના લગેજ એરિયા (સામાન રાખવાની જગ્યા) માં સ્મોક/ધુમાડો હોવાની શંકા ગઈ હતી. સીસીટીવી/કેમેરા મોનિટરિંગ દરમિયાન ધુમાડાના સંકેત મળતા સુરક્ષાના પગલે ફ્લાઈટને તાત્કાલિક નજીકના રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરીને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની વિનંતી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીની ચિંતા અને તંત્રની ત્વરિત કાર્યવાહી ઈમરજન્સી લેન્ડિંગની જાણ થતાં જ રાજ્યના માનનીય મુખ્યમંત્રી દ્વારા પણ આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે જરૂરી પગલાં લેવા માટે તંત્રને સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા હતા. લેન્ડિંગની જાણ થતાં જ ૪૦ થી ૪૫ મિનિટ પહેલાંથી જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું.
૭૦થી વધુ એમ્બ્યુલન્સ અને હોસ્પિટલો એલર્ટ કોઈપણ અણબનાવને પહોંચી વળવા માટે રાજકોટની તમામ સરકારી તથા ખાનગી હોસ્પિટલો, મેડિકલ કોલેજ, એઈમ્સ (AIIMS), ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને તાત્કાલિક એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. એરપોર્ટ પર ૭૦થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડરો (બંબા) રવાના કરી દેવામાં આવ્યા હતા.
તમામ મુસાફરો સુરક્ષિત, વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા સૌભાગ્યવશ, ફ્લાઈટનું એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થઈ ગયું હતું. પ્રાથમિક તપાસમાં વિમાનમાં બહારથી કે અંદરથી કોઈ સક્રિય આગ કે મોટું નુકસાન જોવા મળ્યું નથી. તમામ મુસાફરોને એરપોર્ટના એરાઈવલ એરિયામાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના માટે આરામ અને ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈન્ડિગો સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, મુંબઈથી બીજી વૈકલ્પિક ફ્લાઈટ બોલાવવામાં આવી છે, જે સાંજે ૭ વાગ્યા આસપાસ આવીને મુસાફરોને મુંબઈ પહોંચાડશે.