ઇન્ડોનેશિયામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગત રાત્રે ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર એક પેસેન્જર બસ કોંક્રિટ બેરિયર સાથે અથડાઈ પલ્ટી મારી ગઈ હતી. અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં આશરે 16 લોકોના મોત થયા હતા.
અહેવાલ મુજબ, રેસ્ક્યૂ અને બચાવ એજન્સીના વડા બુડિયોનોએ જણાવ્યું હતું કે, 34 મુસાફરોને લઈ જતી બસે ટોલ રોડ પર કાબુ ગુમાવ્યો અને કોંક્રિટ બેરિયર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આંતર-પ્રાંતીય બસ રાજધાની જકાર્તાથી દેશના ભૂતપૂર્વ શાહી શહેર યોગ્યાકાર્તા જઈ રહી હતી. મધ્ય જાવાના સેમરંગમાં ક્રાપિયાક ટોલવે પર વળાંકવાળા એક્ઝિટ રેમ્પમાં પ્રવેશ કરતી વખતે બસ પલટી ગઈ હતી. તેમણે કહ્યું કે ટક્કરના જોરથી ઘણા મુસાફરો બહાર નીકળી ગયા અને બસની અંદર ફસાઈ ગયા હતા.
અકસ્માતના લગભગ 40 મિનિટ પછી પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળેથી છ મુસાફરોના મૃતદેહ મળી આવ્યા હતા. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં અથવા સારવાર દરમિયાન દસ વધુ લોકોના મોત થયા હતા. બુડિયોનોના જણાવ્યા અનુસાર, નજીકની બે હોસ્પિટલોમાં દાખલ કરાયેલા 18 ઘાયલોમાંથી પાંચની હાલત અતિ ગંભીર છે અને 13ની હાલત ગંભીર છે.
મુસાફરોને બચાવવા માટે બસને કાપી નાખવામાં આવી હતી. હેડ બુડિયોનોએ જણાવ્યું હતું કે ઘાયલ મુસાફરો બસની અંદર ફસાયેલા હતા, તેમના શરીર પર તૂટેલા કાચના ટુકડા ચોંટી ગયા હતા. બચાવકર્તાઓએ રસ્તો બનાવવા માટે બસને કાપી નાખી અને મુસાફરોને બચાવ્યા. આ પહેલા, તેઓએ બસના વાયરિંગ કાપી નાખ્યા અને આગને રોકવા માટે ઈંધણ કાઢી નાખ્યું હતું. સરકારે અકસ્માતની તપાસનો આદેશ આપ્યો છે અને રિપોર્ટ માંગ્યો છે.