કેરળના ત્રિશૂર જિલ્લાના મુંડાથિકોડ ગામમાં આવેલી ફટાકડા બનાવવાની એક યુનિટમાં અચાનક લાગેલી આગ બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ફેક્ટરીની ઇમારતના ફુરચા ઉડી ગયા હતા. કેરળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (KSDMA) અનુસાર, અત્યાર સુધીમાં 10 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે કુલ 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
રાહત અને બચાવ કામગીરીની સ્થિતિ
મેડિકલ કોલેજ પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. દુર્ઘટના સ્થળેથી 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હાલમાં 5 લોકોની સ્થિતિ અત્યંત નાજુક છે અને તેઓ ક્રિટિકલ કેર યુનિટમાં સારવાર હેઠળ છે. અન્ય 17 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે, જેમને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રિશૂર જિલ્લા કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર છે અને કાટમાળ નીચે ફસાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. પીએમઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આર્થિક સહાયની જાહેરાત કરી છે. PMNRF માંથી દરેક મૃતકના પરિજનને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે.
બ્લાસ્ટ પાછળનું કારણ શું?
પ્રાથમિક તપાસ મુજબ ફટાકડાના ગોદામમાં કેમિકલના મિશ્રણ દરમિયાન અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે. જોકે, પોલીસ અને ફોરેન્સિક ટીમે નમૂના એકત્ર કર્યા છે અને વિગતવાર તપાસ શરૂ કરી છે. આ ફેક્ટરી પાસે લાયસન્સ હતું કે નહીં અને સુરક્ષાના માપદંડોનું પાલન કરવામાં આવતું હતું કે નહીં તે અંગે પણ સવાલો ઉભા થયા છે.