જામનગરમાં છેલ્લા બે વર્ષમાં ૧રપ૮ વાહન ભંગાર થયા છે. જેમાં વર્ષ ૨૦૨૩ માં કુલ ૬૬ર અને વર્ષ ૨૦૨૪ માં કુલ પ૯૬ વાહનનો સમાવેશ થાય છે. જો કે આરટીઓમાંથી ફોર્મ ભરવાના નવા નિયમના બે મહિનામાં ભંગાર વાહન માટે એક પણ અરજી આવી નથી. જો વાહન ભંગાર કરાવો તો ખાનગી વાહન પર રોડ ટેકસમાં રપ ટકા અને ટ્રાન્સપોર્ટ વાહન પર ૧પ ટકાની છૂટ મળે છે.
રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગના નિયમ મુજબ જામનગરમાં વર્ષ ૨૦૨૩ માં ૩૧૬ ટ્રાન્સપોર્ટ કેટેગરીના અને ૩૪૬ ખાનગી વાહનો સ્ક્રેપ થયા હતા, જ્યારે વર્ષ ૨૦૨૪ માં ૩૮૦ ખાનગી વાહનો અને ર૧૬ ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો ભંગાર થયા હતા. તાજેતરમાં ૧ એપ્રિલ, ર૦રપ થી નવો નિયમ અમલમાં આવ્યો છે.
જે અનુસાર ફીટનેસ ટેસ્ટમાં ફેઇલ થયેલા વાહનોને સ્ક્રેપ કરવા માટે આરટીઓમાં ફોર્મ ભરવાનું હોય છે, પરંતુ નવાઇની વાત એ છે કે આ નવો નિયમ જાહેર થયાને બે મહિના જેટલો સમય થયો છતાં હજુ સુધી વાહન સ્ક્રેપ માટે એક પણ અરજી આવી ન હોવાનું આરટીઓ કચેરીના અધિકારીઓએ જણાવ્યું હતું. આથી જુના વાહનો સ્ક્રેપ કરાવવા માટે લોકો ઉદાસીનતા દાખવી રહ્યા હોવાનું ઉજાગર થઇ રહ્યું છે.
સરકારે જુના વાહનો રસ્તા પરથી હટાવી પ્રદૂષણ ઘટાડવાનો લક્ષ્ય રાખ્યો છે, પરંતુ તેમાં કોઇ જોઇએ તેવી સફળતા મળી રહી નથી. હાલમાં જામનગર શહેરમાં એક લાખથી વધુ વાહનો માર્ગ પર દોડી રહ્યા છે.
જુના વાહનો લોકો ત્યજી દયે તે માટે સરકાર પ્રોત્સાહન આપી રહી છે. પરંતુ લોકો તેના પ્રત્યે નિરશતા દાખવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે જો ખાનગી વાહન સ્ક્રેપ કરાવવામાં આવે તો રોડ ટેકસમાં રપ ટકા સુધી અને ટ્રાન્સપોર્ટ વાહન સ્ક્રેપ કરાવો તો ૧પ ટકા સુધીની છૂટ મળતી હોય છે.
જેમ કે ૧૦ લાખનું ખાનગી વાહન ખરીદવું હોય તો તેના પર જેટલો રોડ ટેકસ થાય તેના રપ ટકા મુજબ ટેકસ માફ થાય છે. જ્યારે ૧૦ લાખ સુધીનું ટ્રાન્સપોર્ટ પ્રકારનું વાહન ખરીદો તો તેના પર જેટલો રોડ ટેકસ થાય તેના ૧પ ટકા પ્રમાણે માફી મળે છે. ત્યારે નોંધનીય છે કે સરકાર દ્વારા મહત્તમ ૧૦ લાખ સુધીના વાહનો પર રોડ ટેકસમાં માફી અપાઇ છે. જ્યારે ૧૦ લાખની વધુના વાહનોની ખરીદી પર રોડ ટેકસમાં કોઇ માફી આપવામાં આવતી નથી.
નવા વાહન ચલાવવાથી પર્યાવરણની સાથે લોકોને પણ આર્થિક ફાયદો થઇ શકે છે
જામનગરમાં ૧૦ વર્ષથી વધુ જુના વાહનો ચલાવનાર લોકોએ મેઇટેનન્સ અને રોડ ટેકસ સાથેનો ખર્ચ ગણે તો તેની સામે આ વાહન ભંગાર કરાવવાનો વિકલ્પ ફાયદાકારક છે. કારણ કે જુના વાહનો ભંગાર કરાવવાથી નવા વાહનોની ખરીદી પર રોડ ટેકસમાં છૂટછાટ મળે છે. આથી જુના વાહનો ચલાવવાને બદલે નવા વાહન ખરીદી ફાયદાકારક રહે છે. બીજી બાજુ નવા વાહન ચલાવવાથી પ્રદૂષણ ઓછું થતું હોય, પર્યાવરણ માટે પણ લાભકર્તા છે. જો કે હજુ પણ જેટલા વાહનો સ્ક્રેપ માટે આવી રહ્યા છે તેની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે.
૧૦ વર્ષથી વધુ જુના વાહનો મહત્તમ સ્ક્રેપ થાય તે માટે નક્કર પગલા અને આયોજન જરૂરી
જામનગરમાં પણ વસ્તી વિસ્ફોટ સાથે વાહનોની સંખ્યા દિન-પ્રતિદિન કૂદકેને ભૂસકે વધી રહી છે. જેના કારણે હવાનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે. ખાસ કરીને લોકો ૧૦ વર્ષથી જુના વાહનો સ્ક્રેપ કરવાની સરકારની પોલીસીમાં નીરશતા દાખવી રહ્યા છે. આથી શહેરના માર્ગો પર હજારોની સંખ્યામાં ૧૦ વર્ષથી જુના વાહનો દોડી રહ્યા છે. ત્યારે આ વાહનો મહત્તમ ભંગાર એટલે કે સ્ક્રેપ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલા અને આયોજન કરવું જરૂરી બન્યું છે. જેથી પ્રદૂષણ ઘટતા પર્યાવરણને ફાયદો થાય.