ક્યાંથી કામ થાય ? મનપામાં ૧૦૧૮ જગ્યા ખાલી

  • May 24, 2025 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી થતી ન હોય તેમજ નીતિ વિષયક નિર્ણાયક સત્તા ધરાવતા અધિકારીઓના બદલે છેલ્લા એકાદ વર્ષથી ઇન્ચાર્જ અધિકારીઓથી જ ગાડું ગબડાવાતું હોય સમય મર્યાદામાં કામો થતા નથી તેથી સમય અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલની સ્થિતિએ આસિ.કમિશનર, ચીફ ફાયર ઓફિસર, સિટી એન્જીનિયર સ્પેશ્યલ, આઇટી ડિરેકટર, પાર્કસ એન્ડ ગાર્ડન ડિરેકટર, સ્ટોર્સ સુપ્રિન્ટેન્ડેન્ટ સહિત કલાસ-૧ ઓફિસરની ૨૯ જગ્યાઓ ખાલી પડી છે ત્યાં આગળ ઇન્ચાર્જ ફરજ બજાવી રહ્યા છે.

તાજેતરમાં મહાપાલિકામાં મળેલી જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં પુછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં તંત્રવાહકોએ એવો સ્વીકાર કર્યો હતો કે રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટાફ સેટ અપ અનુસાર વર્ગ-૧ની કુલ ૩૭ જગ્યાઓ મંજુર થયેલી છે જેમાંથી હાલ ફક્ત આઠ જગ્યાઓ ભરેલી છે અને ૨૯ જગ્યાઓ ખાલી છે. જ્યારે વર્ગ-૨માં કુલ ૧૪૯ જગ્યાઓ મંજુર થયેલી છે જેમાંથી ૧૨૪ જગ્યાઓ ભરેલી છે અને ૨૫ ખાલી છે. વર્ગ-૩માં કુલ ૨૭૯૮ જગ્યાઓ મંજુર થયેલી છે અને તેમાંથી ૧૮૩૪ જગ્યાઓ ભરેલી છે જ્યારે ૯૬૪ જગ્યા ખાલી છે. આ મુજબ વર્ગ-૧થી વર્ગ-૩ની કુલ ૨૯૮૪ જગ્યા છે જેમાંથી ૧૯૬૬ જગ્યા ભરેલી છે અને ૧૦૧૮ જગ્યાઓ ખાલી છે.


અધિકારીઓ આદેશ કોને કરે ? સ્ટાફ હોય તોને !

રાજકોટ મહાપાલિકામાં હાલ એવી સ્થિતિ છે કે કોણ કોને આદેશ કરે ? અધિકારીઓને આદેશ તો ઘણા કરવા છે પણ તેમની પાસે સ્ટાફ નથી. વર્ગ-૨, વર્ગ-૩ અને વર્ગ-૪માં એટલી જગ્યાઓ ખાલી પડી છે કે આદેશ કરે તો પણ નીચે કામ કરનાર કોઇ નથી. અમુક જગ્યાઓ ભરેલી છે પરંતુ ત્યાં ઇન્ચાર્જ કાર્યરત હોય તેમની પાસે નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા નથી. મહાપાલિકાના વિવિધ કર્મચારી સંગઠનો તેમજ યુનિયન દ્વારા વારંવાર ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે રજૂઆતો કરાઇ છે અને અવારનવાર આવેદનપત્રો પાઠવવામાં આવ્યા છે પરંતુ આજ દિવસ સુધી ભરતી અંગે કાર્યવાહી કરાઇ નથી તે વાસ્તવિકતા છે.


ચૂંટણી પૂર્વે મોટા પાયે ભરતી કરવાનું આયોજન

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પૂર્વે મોટા પાયે ભરતીનું આયોજન હોવાનું જાણવા મળે છે. મહાપાલિકાની વર્તમાન બોડીની મુદત ફેબ્રુઆરીમાં પૂર્ણ થાય છે પરંતુ ડિસેમ્બર સુધીમાં ચૂંટણી યોજાશે તેવી ચર્ચા છે.ચાલુ વર્ષ ૨૦૨૫માં વર્ગ-૧ની ૨૧, વર્ગ-૨ની ૯, વર્ગ-૩ની ૨૬૭ અને વર્ગ-૪ની ૧૨ સહિત કુલ ૩૦૯ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે.તદઉપરાંત વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યાઓના વહીવટી કેડર ના રિક્રુટમેન્ટ રૂલ્સ અદ્યતન કરવામાં આવ્યા હોય અને ટેક્નિકલ કેડરના રૂલ્સ અદ્યતન કરવાની કામગીરી ચાલુ છે જેમાં વર્ગ-૧ની વહીવટી જગ્યાઓ હાલ સરકારમાં મંજૂરી હેઠળ છે જેની મંજૂરી મળ્યા બાદ વર્ગ-૧ની જગ્યાઓ ભરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application