સલાયામાં હત્યા પ્રયાસ કેસમાં નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ સહિત 10ને દસ વર્ષની સખત કેદ

  • February 08, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયામાં યુવાનને મારી નાખવાના ઇરાદે થયેલા ઘાતકી હુમલો: "આપ"ના ઉમેદવારને પણ સજા ફટકારતી ખંભાળિયાની સેશન્સ અદાલત: સામા પક્ષે ક્રોસ ફરિયાદમાં નવને આજીવન કેદ


ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજથી આશરે નવ વર્ષ પૂર્વે એક યુવાન પર કરવામાં આવેલા જીવલેણ હુમલા સંદર્ભે સલાયા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ તેમજ "આપ"ના વર્તમાન ઉમેદવાર સહિત 10 શખ્સોને ખંભાળિયાની સેશન્સ અદાલતે દસ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. આ તકરારમાં ક્રોસ ફરિયાદમાં મહિલાઓ સહિત નવ આરોપીઓને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે.


આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગત તારીખ 13 ડિસેમ્બર 2016 ના રોજ સિદ્દીકભાઈ આદમભાઈ જસરાયા નામના યુવાન સાથે થયેલા ઝઘડામાં તેમને મારી નાખવાના ઈરાદાથી જીવલેણ હુમલો થયો હતો. આ પ્રકરણમાં સામસામા પક્ષે સલાયા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ થઈ હતી. જેમાં આઈ.પી.સી. કલમ 307 વિગેરે મુજબ સલાયામાં જકાતનાકા પાસે રહેતા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા સાલેમામદ કરીમ ભગાડ ઉર્ફે સાલુ પટેલ, અસલમ સાલેમામદ કરીમ ભગાડ, સબીર દાઉદ ભગાડ, જાવીદ દાઉદ ભગાડ, અકબર હારુન ભગાડ, બસીર દાઉદ ભગાડ, જાહીર સાલેમામદ કરીમ ભગાડ, અજીજ અબ્દુલ ભગાડ, ફારૂક અબ્દુલભાઈ ભગાડ અને આબીદ અબ્દુલભાઈ ભગાડ નામના કુલ દસ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધવામાં આવી હતી.


આ સંદર્ભે તપાસનીસ અધિકારી દ્વારા કરવામાં આવેલી ધોરણસર કાર્યવાહી બાદ અહીંની અદાલતમાં ચાર્જસીટ દાખલ કરવામાં આવ્યું હતું. આ અંગેનો કેસ ખંભાળિયાની પ્રિન્સિપલ સેશન્સ જજ શ્રી એસ.વી. વ્યાસની અદાલતમાં ચાલી જતા નામદાર અદાલતે ઉપરોક્ત આરોપીઓને તકસીરવાન ઠેરવી, 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા દલીલો કરવામાં આવી હતી.


સામા પક્ષે હત્યાની નોંધાયેલી ફરિયાદમાં બે મહિલાઓ સહિત નવને આજીવન કારાવાસ


આ કેસમાં બોલાચાલી તેમજ મારામારી કરી અને અબ્દુલ બચુ ભગાડ નામના યુવાનને એક્સ.યુ.વી. મોટરકારની ઠોકર મારીને તેમનું મોત નીપજાવવા સબબ સલાયા મરીન પોલીસે સામાપક્ષે પણ ક્રોસ ફરિયાદ નોંધી હતી. જે અંગે કોર્ટ કાર્યવાહી બાદ સરકારી વકીલ કમલેશભાઈ ચંપકલાલ દવે દ્વારા અહીંના પ્રિન્સિપાલ સેશન્સ જજ સમક્ષ કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઈને આઈ.પી સી. કલમ 302 વિગેરે હેઠળ આરોપી એવા સલાયામાં બંદર રોડ વિસ્તારમાં રહેતા નજીર આદમ જસરાયા, હારુન આદમ જસરાયા, જુબેર આદમ જસરાયા, નુરમામદ હુસેન જસરાયા, ઉમર હજીસુમાર જસરાયા, તળાવની પાળ પાસે રહેતા ખતીજાબેન અખતર કાસમ સંઘાર, ખારી વિસ્તારમાં રહેતા સુગરાબેન હુસેન ઉમર સંઘાર, બંદર રોડ વિસ્તારમાં રહેતા સીદીક આદમ જસરાયા અને સબીર આદમ જસરાયા નામના કુલ નવ શખ્સોને તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. આ સમગ્ર બાબતે નાના એવા સલાયા ગામમાં ભારે ચર્ચા જગાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application