જામનગર: ખોડીયાર કોલોની મોલ પાસે યુવાન પર તલવારથી હુમલો
રાંદલનગરના શખ્સે ધમકી આપ્યાની પણ રાવ
જામનગરના ખોડીયાર કોલોની મોલની આગળ એક યુવાન પર તલવાર વડે હુમલો કરીને હાથના ભાગે ઇજા પહોચાડયાની તેમજ ધમકી દીધાની રાંદલનગરના એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના સ્વામીનારાયણ નગરમાં રહેતા રૂદ્ર રજનીશભાઇ રાઠોડ (ઉ.વ.૨૨) નામના યુવાને રાંદલનગરમાં રહેતા જયદીપસિંહ ઉર્ફે બંધુક જાડેજા નામના શખ્સ સામે સીટી-સી ડીવીઝનમાં ગઇકાલે ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીને મહાવીરસિંહ પ્રતાપસિંહ ચૌહાણ સાથે મિત્રતા હોય અને ફરીયાદીના મિત્ર મહાવિરસિંહને આરોપી જયદીપસિંહ જાડેજા સાથે ઘણા સમયથી ઝઘડો ચાલતો હોય દરમ્યાન ફરીયાદી તેના મિત્રની એકટીવા લઇને તા. ૧૧ના જતા હોય ત્યારે રસ્તામાં પાછળથી આરોપી જયદીપસિંહ પોતાનું મોટરસાયકલ લઇને આવ્યો હતો.
ખોડીયાર કોલોની ક્રિસ્ટલ મોલની આગળ વડલા પાસે આવીને તલવાર વડે ફરીયાદી રૂદ્રભાઇ પર હુમલો કરી હાથમાં અને સાથળના ભાગે ઉંધી તલવાર મારી ઇજા કરી તેમજ જેમતેમ બોલી કહેવા લાગ્યો હતો કે હવે મહાવીરસિંહ સાથે મિત્રતા રાખીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. ફરીયાદીને હાથમાં ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.