મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સુનિશ્ચિત કરવા તંત્રનો નિર્ણય
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પરવાનાવાળા હથિયારો સાત દિવસમાં જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.બી.પંડ્યાનો આદેશ
જામનગર તા.09 એપ્રિલ, જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની ૬ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની જાહેરાત સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે. આ ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેમજ જાહેર સ્થળોએ હથિયારોના કારણે લોકોમાં ભયનું વાતાવરણ ઊભું ન થાય તે હેતુથી જામનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ પી. બી. પંડ્યા દ્વારા શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ-૨૨(૧)(ખ) હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ આદેશ અનુસાર, જામનગર જિલ્લાના તમામ આત્મરક્ષણ તથા પાકરક્ષણના પરવાનેદારોએ પોતાના હથિયારો દિન-૭માં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તેની પહોંચ મેળવી લેવાની રહેશે.
આ જાહેરનામામાં કેટલાક ચોક્કસ કિસ્સાઓમાં હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે, જેમાં ફરજ પરના મેજિસ્ટ્રેટશ્રીઓ, સરકારી અધિકારીઓ/કર્મચારીઓ, બેંકના રક્ષણ માટે નિયુક્ત સિક્યુરીટી ગાર્ડ, રાષ્ટ્રીયકૃત બેંકો કે એટીએમ સાથે સંકળાયેલી એજન્સીઓના હથિયારધારી ગાર્ડ તેમજ મોટા ઔદ્યોગિક એકમો અને વીજ કંપનીઓના સિક્યુરીટી સ્ટાફનો સમાવેશ થાય છે. આ મુક્તિ મેળવનાર ખાનગી સિક્યુરીટી ગાર્ડ પાસે સંબંધિત બેંક કે કંપનીના મેનેજરનું ફોટોગ્રાફ સાથેનું પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાત દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશને તમામ હથિયારો પરવાનેદારોને પરત સોંપવાની કાર્યવાહી કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર સામે શસ્ત્ર અધિનિયમની કલમ-૩૦ તથા ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.