શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનાં ટ્રસ્ટીઓ વિરુદ્ધ ગંભીર રજૂઆત : જમીન પડાવાનાં ગુન્હામાં સંડોવણીનો આરોપ
વડાપ્રધાન કાર્યાલયે રજૂઆતોનો સિલસિલો યથાવત
દેવભૂમિ દ્વારકાનાં શ્રી નાગેશ્વર જ્યોર્તિલિગ મંદિરનાં ટ્રસ્ટીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા થયેલ રજૂઆતો પછી સ્થાનિક સ્તરેથી કોઈ કાર્યવાહી ન થતા આ મુદ્દે અનેક વખત વડાપ્રધાન કાર્યાલયે રજૂઆત થઇ છે જે પછી હવે મંદિરનાં એક ટ્રસ્ટી જમીન પચાવી પાડવાનાં ગુન્હામાં આરોપી હોવાનાં તથા તેને ગુન્હાહિત કૃત્ય માટે મુખ્ય ટ્રસ્ટી અને પૂજારીનાં પરીવારજને લાખો રૂપિયા પૂરા પાડ્યા હોવાનો આરોપ લાગતા ખળભળાટ થયો છે. આ અંગે પણ વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆત થતા આ પ્રકરણ સતત ચગી રહ્યુ છે.
અરજદાર પરેશભારથી કેશુભારથી ગોસાઈ દ્વારા થયેલ રજૂઆતમાં લાગેલા આરોપો મુજબ મંદિરનાં ટ્રસ્ટી ચેતન માલદે ગોહિલ બરડીયામાં બોગસ દસ્તાવેજ વડે જમીન પચાવી પાડવાનાં ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી એક આરોપી છે જે જમીન અંગેનાં પૈસા ગિરધરભારથી લીલાભારથીનાં પુત્ર મહેન્દ્રભારથી ગિરધરભારથીએ આપ્યા હોવા અંગે આરોપો લગાવી સંબંધિત પ્રકરણની એફ.આઇ.આર.નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૪૦ લાખ જેટલી રકમ આપવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે. એટલે કે ટ્રસ્ટનાં પૈસાનો ગુન્હાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ જેવો ઘાટ ઘડાયાનું ચિત્ર ઉપસે છે.
આ ટ્રસ્ટીઓ વિરુદ્ધ ટ્રસ્ટનાં નાણાનાં દુરુપયોગ વડે ૩૦૦ કરોડથી વધુનાં ભ્રષ્ટાચારનાં આરોપો લગાડી આ અંગે અગાઉ ઈન્કમ ટેક્સ વિભાગને પણ ફરીયાદો કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આમ શ્રી નાગેશ્વર જ્યોર્તિલિગ મંદિરનાં ટ્રસ્ટીઓ વિરુદ્ધ વધુ એક ધગધગતી રજૂઆતથી સમગ્ર પ્રકરણ વધુ એક વખત ચર્ચિત બન્યુ છે.