માર્કેટિંગ યાર્ડ દ્વારા તમામનો રૂ. બે- બે લાખનો અકસ્માત વીમો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ દ્વારા અહીં નોંધાયેલા તમામ ખેડૂતો ઉપરાંત દલાલો, વેપારીઓ તેમજ શ્રમિકોને અકસ્માત સામે વીમા કવચ મળી રહે તે હેતુથી 1.21 લાખ લોકોનો અકસ્માત વીમો લેવામાં આવ્યો છે.
ખંભાળિયાના સધ્ધર અને સુવિધાસભર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો વિગેરેનો વીમો લેવામાં આવતો ન હતો. ત્યારે તાજેતરમાં યોજાઈ ગયેલી એક મિટિંગમાં યાર્ડના ચેરમેન શ્રીમતી ચંદુબા પી. જાડેજા દ્વારા સોશિયલ ઓબ્લિગેશનના ભાગરૂપે યાર્ડ સાથે સંકળાયેલા તમામને વીમા કવચ મળે તેવી દરખાસ્ત પ્રમુખ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી. જેને યાર્ડના વાઇસ ચેરમેન જે.ડી. નકુમ સહિતના ડાયરેક્ટરોએ વધાવી લીધી હતી. જે માટેની જરૂરી પ્રક્રિયા પૂર્ણ થતા આજરોજ વીમા કંપનીને રૂપિયા 29 લાખના વીમા પ્રીમિયમનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.
આ વચ્ચે ઉલ્લેખનીય છે કે એપીએમસી દ્વારા અગાઉ દર વર્ષે આ પ્રકારે વીમા પ્રીમિયમ ચૂકવવામાં આવતું હતું. પરંતુ કૃષિ કાયદામાં થયેલા ફેરફારના કારણે એપીએમસીની બહારથી માર્કેટ ફી વસૂલવાનું બંધ થતા તેની અસર એપીએમસીની આવક પર થવા પામી હતી. જેથી યાર્ડ દ્વારા પ્રીમિયમ ભરવાનું બંધ કરાયું હતું. આ પછી છેલ્લા કેટલાક સમયથી ખંભાળિયા એપીએમસીમાં ખેડૂતોની જણસ તેમજ યાર્ડની આવકનું પ્રમાણ વધતા યાર્ડના સંચાલકો દ્વારા સામાજિક ફરજ અદા કરવાના આશયથી યાર્ડ સાથે સંકળાયેલા 1,21,400 ખેડૂતો તેમજ 600 જેટલા વેપારીઓ, દલાલો તેમજ શ્રમિકો મળી આશરે 1.21 લાખ લોકોને વીમા કવચ મળે તે માટેના નિર્ણય બાદ પ્રત્યેકનો રૂપિયા બે-બે લાખનો વીમો ઉતારતા રૂ. 29 લાખનો પ્રીમિયમનો ચેક યાર્ડના સેક્રેટરી બી.આર જોગલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
વધુમાં ખંભાળિયા તાલુકાના નોંધાયેલા ખેડૂત ખાતેદારો, કમિશન એજન્ટો અને વેપારીઓએ આ બાબતને નોંધ લઇને અકસ્માતે કોઈનું નિધન થાય તો ખંભાળિયા એપીએમસીનો સંપર્ક કરવા ચેરમેન શ્રીમતી સી.પી. જાડેજા તેમજ વાઈસ ચેરમેન જયંતીભાઈ નકુમની એક યાદીમાં જણાવાયું છે.