જામનગર શહેરમાં નદીના પટ્ટ સહિત અનેક સ્થળોએ ગેરકાયદેસર દબાણો થઇ ગયા છે ત્યારે હવે સરકારની સીધી સુચનાથી આવા દબાણો હટી રહ્યા છે, રંગમતી-નાગમતી નદીના પટ્ટમાં તો લગભગ ૩૨૫થી વધુ ગેરકાયદેસર દબાણો થયા, બચુનગરમાં ૨૦૦થી વધુ ગેરકાયદેસર મકાનો છે, શહેરમાં અન્ય સ્થળોએ પણ રાજકીય લોકોના આર્શીવાદથી દબાણો થઇ ગયા છે તે હવે તોડી પાડવામાં આવી રહ્યા છે તે સારી વાત છે, પરંતુ આ દબાણ થયા ત્યારે મહાપાલીકાના અધિકારીઓનું કેમ ઘ્યાન ન ગયું ? તે પ્રશ્ર્ન પણ સુચક છે. શહેરની મુખ્ય ફુટપાથો ઉપર ખુદ વેપારીઓ દ્વારા દબાણો કરવામાં આવે છે, તે હટાવાતા નથી, વૃઘ્ધો અને બાળકો ખુબ જ પરેશાન થઇ રહ્યા છે. અનેક સ્થળોએ ગેરકાયદેસર બાંધકામનો ખડકલો થઇ ગયો છે ત્યારે રાજય સરકારે પણ દબાણો દુર કરવા આદેશ આપ્યા બાદ જામનગરમાં તાત્કાલીક અસરથી દબાણો દુર કરવા મેગા ઓપરેશન પણ શરૂ થયું છે.
નવાનગર તરીકે ઓળખાતા જામનગરમાં વર્ષોથી ગેરકાયદેસર દબાણો થઇ જાય છે, થોડા વર્ષ પછી ઓચીંતી કોઇ અરજી કરે અને તંત્રના ઘ્યાનમાં આવે ત્યારે આ દબાણો દુર કરવામાં આવતા હોય છે, રંગમતી-નાગમતી નદીને પુરી દેવા માટે કારસો ઘડાયો હોય તેમ લાગે છે, પરંતુ હવે રિજુવેશન પ્રોજેકટમાં રંગમતી નદીને પૂર્વ સ્થિતિમાં લાવવા માટે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને તેની ટીમે શરૂઆત કરી છે તે ખુબ જ આવકારદાયક છે, આ વખતે એક વાત સારી છે કે, આ દબાણો દુર કરવામાં રાજકીય માણસોએ બહુ દખલગીરી કરી નથી. શહેરના બચુનગર વિસ્તારમાં જાણે કે ગેરકાયદેસર બચુનગર બની ગયું હોય તેમ લાગે છે, જો કે એકાદ અઠવાડીયામાં આવા ગેરકાયદેસર ૨૦૦ મકાનો ઉપર બુલડોઝર ફરી વળશે, પરંતુ પ્રશ્ર્ન એ છે કે જયારે-જયારે આવા મકાનો બનતા હોય છે ત્યારે શા માટે મકાનનું બાંધકામ ન રોકી દેવાયું ? એટલું જ નહીં વોટર સપ્લાય, પીજીવીસીએલની લાઇનની સુવિધા આરામથી મળી રહી ત્યારે સરકારી જમીન ઉપર આવા બાંધકામો થાય ત્યારે જમીન માફીયાઓને આ પ્રકારની સુવિધા મળી જાય છે.
સરકારે ગરીબ લોકો માટે આવાસ યોજના પણ બનાવી છે, પરંતુ મોટાભાગના માથાભારે લોકો દ્વારા શહેરમાં દબાણો થઇ રહ્યા છે અને તંત્ર મૌન બનીને જોઇ રહ્યું છે, જયારે-જયારે ડીપી કપાતની વાત આવે ત્યારે તાત્કાલીક અમલ કરાવવા કોર્પોરેશન વાત કરે છે, પરંતુ વર્ષો પહેલા માંડવી ટાવરથી ખંભાળીયા ગેઇટ સુધી ડીપી કપાત કરવા માટેની મંજુરી મળી ગઇ છે, પરંતુ શા માટે તેની અમલવારી કરવામાં આવતી નથી ? તે પણ પ્રશ્ર્ન છે.
શહેરમાં રણજીતરોડ હોય કે ચાંદીબજાર, સેતાવાડ હોય કે દિગ્જિય પ્લોટ, એસ.ટી.રોડ સહિતના મુખ્ય રસ્તાઓ ઉપર પણ ફુટપાથો ઉપર ખુદ વેપારીઓ દબાણ કરે છે અને વૃઘ્ધો ફુટપાથ ઉપર ચાલી શકતા નથી તે વાત પણ હકીકત છે, ત્યારે આવા લોકોની સુવિધા માટે કોર્પોરેશન શું કરે છે ? આકર્ષક ફુટપાથ બનાવે કે રોડની બંને બાજુ સુશોભન કરીને બ્લોક નાખવામાં આવે પરંતુ આ ખર્ચો પાણીમાં જ છે તેનો દાખલો ખોડીયાર કોલોની પાસે જોવા મળશે, વર્ષો પહેલા લાખો રૂપિયાના ખર્ચે ખોડીયાર મંદિર પછી રસ્તો પહોળો હતો તે ટુંકાવીને બાંધકામ કરવામાં આવ્યું પરંતુ ત્યાં રેકડી અને પથારાવાળાઓ જ બેસે છે તો પછી આ પ્રકારનો ખર્ચો કરીને બ્યુટીફીકેશન શા માટે કરવું જોઇએ ? તે પણ પ્રશ્ર્ન છે. જનતાના વેરામાંથી શહેરમાં પ્રોજેકટ થાય છે, અત્યારે ખોડીયાર કોલોની વિસ્તારની હાલત એ છે કે રસ્તો ટુંકો થઇ ગયો તેની સામે વાહનો વધી ગયા અને આ ભરચક વિસ્તારમાં લોકોને પારાવાર સમસ્યા ઉભી થાય છે.
શહેરમાં અનેક સ્થળોએ ગૌરવ પથ ઉપર દબાણો થઇ ગયા છે, લોકો કંઇ બોલી શકતા નથી, દબાણો ગમે તે જગ્યાએ થાય છે પરંતુ કડક પગલા લેવાતા નથી, પરંતુ હવે જયારે મ્યુ.કમિશ્નરે હથોડો ઉગામ્યો છે ત્યારે શહેરને સ્વચ્છ બનાવવા માટે જે મોહીમ ચાલું કરવામાં આવી છે તેની લોકોમાં પણ પ્રશંસા થઇ રહી છે, આ વખતેની દબાણ હટાવ ઝૂંબેશ ખુબ જ અસરકારક રહેશે, નદીના પટ્ટમાં કોઇની શેહ-શરમ રાખ્યા વિના દબાણ હટાવાઇ રહ્યા છે તે જોતા આગામી દિવસોમાં નદી પણ પહોળી અને સ્વચ્છ બનાવવાની કામગીરીથી ચોકકસપણે ફાયદો થશે, પરંતુ શહેરમાં ફુટપાથ પર થયેલા દબાણો અને અન્ય જગ્યાએ થયેલા દબાણોને પણ હટાવવા જોઇએ, ફકત ગરીબોના દબાણ નહીં અન્ય માલેતુજાર લોકોના દબાણો ઉપર પણ બુલડોઝર ફેરવી દેવું જોઇએ તો જ સાચો વિકાસ ગણાશે.