આવતીકાલથી બે દિવસ વરસાદની આગાહી
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગરમીનું વાતાવરણ જોવા મળ્યું છે જો કે સમી સાંજે ઠંડો પવન પણ ફુંકાય છે. પરંતુ આગામી દિવસોમાં વરસાદ વહેલો આવશે અને આવતીકાલથી બે દિવસ સુધી હાલારમાં વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે, તેથી તંત્ર પણ એલર્ટ બની ગયું છે.
કલેકટર કચેરીનાં જણાવ્યા અનુસાર મહતમ તાપમાન ૩૬.૪ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૯, હવામાં ભેજ ૭૪, પવનની ગતિ ૪૦ થી ૪૫ કિ.મી. પ્રતિ કલાક જોવા મળી છે. ગઇકાલે પણ હાલારનાં કેટલાક વિસ્તારોમાં વાદળો છવાયા હતા હવામાન ખાતુ કહે છે કે સૌરાષ્ટ્રમાં જૂનનાં પ્રથમ અઠવાડિયામાં ચોમાસુ સક્રિય બની રહેશે જો કે બે દિવસથી રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ગરમીનું વાતાવરણ વધુ જોવા મળ્યું છે. અને માછીમારોને દરિયાકાંઠે નહિ જવા ચેતવણી આપી છે. ત્યારે હાલારમાં બે દિવસ સુધી છુટોછવાયો વરસાદ પડવાની શકયતા જોવા મળી છે.
જિલ્લામાં કાલાવડ, ધ્રોલ, જોડિયા, કલ્યાણપુર, જામજોધપુર, ખંભાળીયા, દ્વારકા, સલાયા, ફલ્લા, રાવલ સહિતનાં વિસ્તારોમાં આજ સવારથી ગરમીનુ જોર વઘ્યુ છે અને વાદળો પણ છવાયા છે, જયારે આગાહીનાં અનુસંધાને વહીવટીતંત્ર એલર્ટ બની ગયું છે.
ગઇકાલ સાંજથી જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે, જામનગરમાં પણ આજ સવારથી વાદળો છવાયા છે, આ પહેલા ત્રણ દિવસ છુટો છવાયો વરસાદ થશે તેવી આગાહી પણ કરવામાં આવી હતી, આવતીકાલથી બે દિવસ કેટલાક તાલુકામાં વરસાદ પડશે તેમ હવામાન ખાતુ કહે છે, ત્યારે માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં બે દિવસ વરસાદ પડશે, જો કે આ વખતે લગભગ ૧૦ થી ૧૨ દિવસ ચોમાસુ વહેલુ આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે, આગાહી એવી પણ હતી કે, વાવાઝોડુ સૌરાષ્ટ્રને ધમરોળશે, પરંતુ વાવાઝોડુ દરિયામાં સમાઇ જતાં જામનગર સહિત સૌરાષ્ટ્ર પરનો ખતરો ટળી ગયો છે જેથી અધિકારીઓએ પણ હાંશકારો અનુભવ્યો છે.
આ વર્ષે ચોમાસુ નજીક આવી રહ્યું છે, ચોમાસા પહેલા ૧૫ દિવસ અગાઉ કમોસમી વરસાદને કારણે કેરી, બાજરી, મગફળી સહિતના પાકને નુકશાન થયું છે અને ખેડુતોને ફરીથી આર્થિક નુકશાનીને કારણે તેઓ પાયમાલ થઇ રહ્યા છે ત્યારે આ વર્ષે ચોમાસુ સા રહેશે તેવી પણ હવામાન ખાતાએ આગાહી કરતા ખેડુતોને એક નવી આશા જન્મી છે.