રાજ્યમાં પશુપાલનનો વ્યાપ વધે તેમજ પશુપાલકો માટે આ ક્ષેત્ર નફાકારક બની રહે તે દિશામા રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે- કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

  • March 29, 2025 07:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્રોલ તાલુકાના લતીપુર ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન યોજાયું

પશુપાલનના મુખ્ય ચાર આધાર સ્તંભો પશુ આરોગ્ય, પશુ સંવર્ધન, પશુ પોષણ તથા પશુ પસંદગી વિશે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન અપાયું

જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓના ૧૬૦૦થી વધુ પશુપાલક ભાઈઓ-બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

સાંસદ પૂનમબેન માડમ દ્વારા ગૌશાળા ખાતે રૂ.૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલ કેટલ શેડનું લોકાર્પણ કરાયું


 

જામનગર તા.૨૯ માર્ચ, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ સાંસદ પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્રોલ તાલુકાના લતીપુર ગામે જીવદયા ગૌસેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ખાતે સંકલિત જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના હસ્તે પશુપાલકોને વિવિધ યોજનાકીય લાભો અપાયા હતા તેમજ ગૌશાળા ખાતે રૂ.૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલ કેટલ શેડનું સાંસદ પૂનમબેન માડમના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.


આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે સરકારના સકારાત્મક પ્રયાસોને કારણે આજે રાજ્યમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે શ્વેત ક્રાંતિ થઈ છે. દૂધ ઉત્પાદનમાં રાજ્ય સમગ્ર દેશમાં અગ્રેસર બની રહ્યું છે.પશુપાલન ક્ષેત્રે આરોગ્ય વિષયક સંભાળ લેવા સરકાર પશુ આરોગ્ય મેળાઓ યોજી પશુપાલકોને ઘર આંગણે જ વિના મુલ્યે પશુ સારવાર ઉપલબ્ધ કરાવે છે. અને આ માટે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૫૦૦ થી વધુ પશુ દવાખાનાઓ શરૂ કરવામાં આવ્યા છે.અને ચાલુ વર્ષમાં ૨૫૦ જેટલા પશુ દવાખાનાઓ શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.તેમજ ત્રણ કરોડથી વધુ પશુઓને રાજ્યમાં સારવાર મળી છે. વધુમાં ૧૦ ગામ દિઠ એક પશુ વાન અંતર્ગત હાલ રાજ્યમાં ૪૬૫ વાન કાર્યરત છે.તેમજ ૧૫૦ જેટલી નવી પશુ વાન ચાલુ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. તદુપરાંત સેકસ્ડ સિમેન, કૃત્રિમ બિજદાન, પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ, પશુ આહાર સહાય જેવી અનેકવિધ યોજનાઓ થકી રાજ્ય સરકાર પશુપાલનનો વ્યાપ વધે તેમજ પશુપાલકો માટે આ ક્ષેત્ર નફાકારક બને તે દિશામા પ્રયત્નો કરી રહી છે.


મંત્રીશ્રી દ્વારા ગૌપુજન કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયા બાદ મહાનુભાવોના વરદ હસ્તે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓની સંસ્થાઓને રૂ.૧.૯૬ કરોડ અને લાભાર્થીઓને રૂ.૨.૨૯ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતું.આ ઉપરાંત સેકસ્ડ સિમેનથી જન્મેલ વાછરડી તથા પાડી ધરાવતા પશુપાલકોને નવીન ટેકનોલોજી અપનાવવા બદલ પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.


આ સમારોહમાં ગુજરાત વેટેરીનરી કાઉન્સિલના પ્રમુખ ડો. ભગીરથ પટેલ, પશુપાલન શાખાના તજજ્ઞો ડો.અનીલ વિરાણી, ડો.હિતેશ કોરીંગા તથા ડો.કરશનભાઈ ગોરિયા દ્વારા જામનગર જિલ્લાના તમામ તાલુકામાંથી કુલ ૧૬૦૦થી વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેલ પશુપાલકો ભાઈઓ-બહેનોને પશુપાલન થકી સમૃદ્ધિ બાબતેની વિવિધ જ્ઞાનવર્ધન માહિતી પ્રદાન કરેલ હતી તેમજ પશુપાલનના મુખ્ય ચાર આધાર સ્તંભો પશુ આરોગ્ય, પશુ સંવર્ધન, પશુ પોષણ તથા પશુ પસંદગી વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતુ.તેમજ પશુપાલન નિયામક ફાલ્ગુનીબેન ઠાકર દ્વારા પશુ સારવાર, પશુ દવાખાના તેમજ પશુપાલનને લગતી વિવિધ યોજનાકીય જાણકારી પુરી પડાઈ હતી.


આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેકટર કેતન ઠક્કર,જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન અઘેરા, ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, આગેવાન સર્વ ડો.વીનુભાઈ ભંડેરી, રમેશભાઈ મૂંગરા, રસિકભાઈ ભંડેરી, પશુપાલન વિભાગ રાજકોટના વડા ડો.ભરત ગોહિલ, જામનગર જિલ્લા પશુપાલન અધિકારી ડો.તેજસ શુકલ તથા બહોળી સંખ્યામા પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application