ઘઉં, મસાલા, ઓર્ગેનિકના સીઝનલ હાટડા ખોલનારાઓને ફૂડ લાયસન્સ લેવા નોટિસ

  • April 30, 2025 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરમાં હાલ ઠેર ઠેર સીઝનલ ધંધાર્થીઓ ફૂટી નીકળ્યા છે અને ખાસ કરીને ઘઉં, મસાલા તેમજ અન્ય વિવિધ ખાધપદાર્થોનું ઓર્ગેનિકના નામે સીઝનલ વેંચાણ કરી સંકેલો કરી લેતા હોય છે. કાયદા અને નિયમ મુજબ એક બે મહિના પૂરતો સીઝનલ ધંધો કરનારે પણ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચમાં અરજી કરી લાયસન્સ મેળવવું ફરજિયાત છે તેમ છતાં અનેક ધંધાર્થીઓ લાયસન્સ મેળવતા નથી. દરમિયાન આ મામલે ફૂડ બ્રાન્ચ દ્વારા ચેકિંગ ડ્રાઇવ હાથ ધરીને શહેરની વિવિધ માર્કેટમાં સીઝનલ ધંધો કરતા નોટિસ ફટકારવામાં આવી છે.

વિશેષમાં મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું કે, ફૂડ વિભાગની ટીમ તથા વાન સાથે શહેરના નાનામવા સર્કલ રામ મસાલા માર્કેટ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં છ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૧ નમૂનાની સ્થળ પર ચકાસણી કરી હતી જેમાં (૧) ભગવતી મસાલા ભંડાર (૨) ઉમિયાજી મસાલા ભંડાર (૩) ઉત્તમ મસાલા માર્કેટ (૪) ખેડૂત મરચાં ભંડાર (૫) રામનાથ મરચા (૬) ખોડિયાર ઘઉં ભંડાર સહિતના છ ધંધાર્થીને ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપી હતી. તદઉપરાંત તથા (૭) જલારામ મસાલા ભંડાર (૮) મહાદેવ મસાલા ભંડાર (૯) જય રખાદાદા મીલ (૧૦) શ્રીરામ મસાલા માર્કેટ (૧૧) સતદેવીદાસ અમરદેવીદાસ મસાલા માર્કેટની ચકાસણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ફૂડ લાયસન્સ મેળવ્યા વિના ધંધો કરતા સીઝનલ ધંધાર્થીઓ એકાદ મહિનો ધંધો કરી ગુમ થઇ જતા હોય છે અને તેમણે વેંચાણ કરેલા માલની ક્વોલિટીનો કોઈ ભરોસો હોતો નથી છતાં ગ્રાહકો સસ્તા ભાવને કારણે ત્યાંથી ખરીદી કરતા હોય છે. ભૂતકાળમાં અનેક વખત એવું બન્યું છે કે મસાલા માર્કેટની સીઝન પૂર્ણ થયા બાદ ત્યાંથી લેવાયેલા સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ આવે છે અને તેમાં ભેળસેળ હોવાનું સામે આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application