જામનગરમાં ૭ જૂનના રોજ ઇદ-ઉલ-અદહાની થશે ઉજવણી જીલ હજ્જનો ચાંદ દેખાયો: ચાંદ કમીટીના પ્રમુખ દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી

  • May 29, 2025 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જીલ હજ્જ એટલે કે કુરબાની અને હજ્જના પવિત્ર સફરનો મહીનો આજથી શરૂ થઇ ગયો છે, ગઇ સાંજે ચાંદ (બીજ) થઇ જતાં જીલ હજ્જની આજે પહેલી તારીખ છે અને આ મુજબ જીલ હજ્જની તા.૧૦ એટલે કે અંગ્રેજી તા.૭-૬ શનિવારના રોજ ઇદ-ઉલ-અઝહાની ઉજવણી કરવામાં આવશે તેમજ શહેર-જિલ્લામાં મોટી સંખ્યામાં કુરબાની વગેરે કરવામાં આવશે. 


જામનગર જિલ્લા ચાંદ કમીટીની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ગઇ સાંજે ચાંદ થઇ જતાં જીલ હજ્જનો મહીનો શરૂ થઇ ગયો છે, તા.૩-૬ મંગળવારે છઠ્ઠી શરીફ ઉજવાશે અને બકરી ઇદથી જાણીતી ઇદ-ઉલ-અઝહાની ઉજવણી તા.૭-૬ શનિવારના રોજ થશે, આ દિવસે ઇદગાહ સહિત જામનગરની જુદી-જુદી મસ્જીદોમાં તેના સમય પ્રમાણે ઇદની નમાઝ અદા કરવામાં આવશે અને નમાઝ બાદ જે લોકો કુરબાની વગેરે કરતા હોય તેઓ પોતપોતાના ઘરે અથવા નિયત સ્થળે કુરબાની કરશે. બાળકો, મોટેરાઓ નવા-નવા વસ્ત્રો પહેરશે, શીર ખુરમાની જીયાફત ઉડાવવામાં આવશે, મનભાવના ભોજન બનાવવામાં આવશે અને મુસ્લિમ બિરાદરો એકમેકને ઇદ-ઉલ-અઝહાની શુભેચ્છા પાઠવશે. 


ચાંદ કમીટીના પ્રમુખ મૌલાના મુસ્તાક બાપુ ચિશ્તી કાદરી હબીબી ખતીબો ઇમામ રતનબાઇ મસ્જીદ દ્વારા આપવામાં આવેલી યાદીમાં વધુ જણાવવામાં આવ્યું છે કે, તા.૮-૬ રવિવારના રોજ ૧૧મી શરીફ અને બીજે દિવસે સોમવારે ૧૨મી શરીફ મનાવવામાં આવશે.


જીલ હજ્જનો ચાંદ થઇ જતાંની સાથેની મકકા શરીફમાં હજના અરકાન શરૂ થઇ ગયા છે અને લાખોની સંખ્યામાં ઉપસ્થિત હાજીઓ દ્વારા હજ્જના જુદા-જુદા અરકાન કરવામાં આવી રહ્યા છે, જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો હજ્જ કરવા માટે પહોંચ્યા છે, બીજી તરફ અહીં પણ ઇદની ઉજવણીનો માહોલ ધીમે-ધીમે બની રહ્યો છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application