તંત્ર દ્વારા નવા ગોમતીઘાટ પર પ્રતિબંધ દુર કરાયો, નિર્જલા એકાદશીએ ભાવિકોએ સ્નાન કર્યુઃ યાત્રાળુમાં હર્ષની લાગણી
યાત્રાધામ દ્વારકામાં આવતા યાત્રિકોની ધાર્મિક ભાવનાને સમજતા તંત્ર દ્વારા નવા ગોમતી ઘાટ પર ગોમતી જળમાં સ્નાન કરવા પર પ્રતિબંધ હટાવી લેવાયો છે.જેના કારણે નિર્જલા એકાદશી પર્વે અત્રે આવતા ભાવિકો ગોમતી સ્નાન સાથે ધાર્મીકક્રિયા કરી શકતા યાત્રીવર્ગમાં ભારે હર્ષની લાગણી ફેલાઇ હતી.તંત્ર દ્વારા નવા ગોમતીઘાટ પર સાવચેતીપુર્વક જવા અપીલ પણ કરાઇ છે.જે સાથે રેસ્કયુ બોટ સહીત બચાવ ટુકડી આઘુનિક રેસ્કયુ ક્રાફટ પણ ઉપલબ્ધ કરી દેવાયુ છે.
છેલ્લા કેટલાક દિવસોથી દ્વારકાનો દરિયો ખૂબ રફ હોવાથી ગોમતી નદીના પાણીમાં પણ કરંટ જોવા મળી રહ્યો હતો.જેમાં ખૂબ ઊંચે ઊંચે મોજા ઉછળી રહ્યા છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ગોમતી નદીમાં સ્નાન કરતા ડૂબવાના બનાવો બની રહ્યા છે. જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ગોમતી નદીમાં સ્નાન પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. જેના હિસાબે હજારોની સંખ્યામાં આવતા યાત્રીકો કચવાટ સાથે દુઃખની લાગણી પણ અનુભવી રહ્યા હતા.
કારણ કે, પૌરાણિક પરંપરા અનુસાર ગોમતી નદીમાં સ્નાન અથવા તેના જળ લઈ માથે છંટકાવ કર્યા બાદ દર્શન કરવાનો મહિમા છે.વહીવટી તંત્ર દ્વારા લોકોની ભાવનાને સમજતા લોકોને નવા ગોમતી ઘાટ પર ગોમતીના જળમાં ધાર્મિક ક્રિયા તેમ જ સ્નાન કરવા પર પ્રતિબંધ હટાવી લેવાયો છે.
જેના કારણે વેકેશનના છેલ્લા દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં આવતા ભક્તો ગોમતી સ્નાન તેમજ પોતાની ધાર્મિક ક્રિયા કરી શક્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સંગમ ઘાટ થી લઈને હનુમાન ઘાટ સુધી દરિયાનું મીલન થતું હોય, ગોમતી નદીમાં મોજા ખૂબ ઊંચા ઉછળે છે. જેના લીધે સ્નાન કરતા લોકો ગોમતી નદીમાં તણાઈ જવાના બનાવો બની શકે છે. પરંતુ નવા ગોમતી ઘાટ પર પાણીનું પ્રેશર ખૂબ જ ઓછું હોવાથી અને પાણીનું ઊંડાણ પણ ઓછું ત્યાં લોકો ગોમતી નદીમાં તણાવવા કે ડૂબવાના બનાવોની શક્યતા ખૂબ ઓછી રહે છે. તેમ છતાં તંત્ર દ્વારા લોકોને સાવચેતીપૂર્વક નવા ગોમતી ઘાટ પર જવા પર અપીલ કરવામાં આવી છે.